सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

એક સાચા કાર્યકર - અજીતજી

ડૉ. પારુલ ભટ્ટ મહેતા | કર્ણાટક

parivartan-img

23 વર્ષની ઉંમરે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ અને તે પણ 65 વર્ષ પહેલાં. આ પ્રતિભાશાળી યુવાનની ઉજ્જવળ ભવિષ્યની રાહ જોવાઈ રહી હતી, તેમાં કોઈ શંકા નથી.  પરંતુ તેના સપનાની દુનિયા અલગ હતી. કદાચ જે લોકોનો ઈતિહાસ લખાય છે તેઓ સરળ રસ્તો પસંદ કરતા નથી, અને તે જ કર્ણાટકના કોલાર જિલ્લાના ગુડીબંડેના ગેઝેટેડ ઓફિસર બ્રહ્મસૂર્યા અને તેમની પત્ની પુટ્ટાયમ્માના બીજા સંતાન અજીત કુમારજીએ કર્યું હતું.  એક મોટી કંપનીમાં નોકરીમાં જોડાવાને બદલે 1957માં તેઓ રાતોરાત ઘર છોડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બની ગયા.  સંઘના સફળ પ્રચારકોમાંના એક અજીતજીએ તેમના ટૂંકા જીવન દરમિયાન બેંગલુરુમાં સેવાના ક્ષેત્રમાં એક અનોખું ઉદાહરણ એટલે હિન્દુ સેવા પ્રતિષ્ઠાનની સ્થાપના કરી હતી.  આ સ્થાપના એ અનેક નવા ખ્યાલોને જન્મ આપ્યો. સેવાભાવી લોકોને તાલીમ આપીને પણ તૈયાર કરી શકાય છે, મહિલાઓ પણ સેવા કાર્યકર્તાના રૂપમાં પોતાનું આખું જીવન સમાજને આપી શકે છે.આ બંને વિચારો સંઘ માટે તદન નવા જ હતા. આ પરિકલ્પના ને સાકાર કરવા દૃઢ નિશ્ચય કરી સંગઠનની સહમતિથી ઈ.સ.1980માં "હિન્દુ સેવા પ્રતિષ્ઠાન"ની સ્થાપના કરી. જેમાં સૌ પ્રથમ સેવાવ્રતિ બનવા ઇચ્છતા 23 યુવા-યુવતીઓની 40 દિવસની તાલીમ શરૂ થઈ. નેલે, અરુણ, ચેતના, પ્રસન્ના કાઉન્સેલિંગ સેન્ટર, સેવામિત્ર, સુપ્રજા જેવા અનેક પ્રોજેક્ટ ચલાવનારા તમામ સેવાવ્રતિઓ  અહીંથી જ સંસ્થાનને મળ્યા. સ્વર્ગસ્થ અજીતજીનું વિચાર બીજ હવે એક વિશાળ વડલો બની ગયું છે. હિન્દુ સેવા પ્રતિષ્ઠાનની સ્થાપના પછીના 42 વર્ષમાં 4000 થી વધુ લોકોએ અહીંથી તાલીમ લઈને સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે, જેમાં 3500 મહિલાઓ છે. આમાંના મોટાભાગના લોકોએ તેમની યુવાનીનાં 3થી10 વર્ષ અને કેટલાકે તેમનું આખું જીવન સેવા માટે સમર્પિત કર્યું.


બેંગલુરુમાં BE કરતી વખતે કમ્બનપેટેની કલ્યાણ શાખામાંથી સંઘ જીવનની શરૂઆત કરનાર અજિતજીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.  તેઓનું સંઘ શિક્ષણ મોડું શરૂ થયું હતું, આમ છતાં કૉલેજ કાળમાં પ્રથમ વર્ષ પછી તેમના જીવનની દિશા બદલાઈ ગઈ હતી. કોલેજ જીવનમાં વિદ્યાર્થી પરિષદનું કામ કરતી વખતે પણ તેઓ જરૂરિયાતમંદ ભાઈ-બહેનોના જીવન ધોરણ સુધારવાની ચિંતા કરતા હતા.

 1957માં સંઘના પ્રચારક નીકળ્યા પછી, તેઓ 1960-75 સુધી સંઘની વિવિધ જવાબદારીઓ નિભાવતી વખતે કટોકટી દરમિયાન MISA માં કેદી તરીકે 2 વર્ષ જેલમાં રહ્યા. ત્યાં પણ તેમણે કેદીઓને યોગની તાલીમ આપી હતી. સંઘના વર્ગોના અભ્યાસક્રમમાં યોગનો સમાવેશ કરવાનું શ્રેય અજીતજીને જાય છે. આ માટે તેઓ પ્રસિદ્ધ યોગાચાર્ય શ્રી પટ્ટાભી પાસેથી યોગાસન શીખ્યા.


    અજીતજીના સહયોગી અને હિંદુ સેવા પ્રતિષ્ઠાનમાં સેવા કાર્યકર્તાઓની તાલીમ માટે અભ્યાસક્રમ તૈયાર કરવામાં  જેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી તેવા શ્રી દત્તાત્રેય હોસબલે કહે છે કે અજિતજી સતત ચિંતિત રહેતા હતા કે લાખો લોકો એવા છે કે જેમને સેવાની જરૂર છે અને સેવા કરનારાઓની સંખ્યા તો માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે. વળી, સેવા જેના મૂળ સ્વભાવમાં છેતે નારીશક્તિ પણ સેવા કાર્યથી જોજનો દૂર છે. તેમની આ પીડાએ જ કદાચ સેવાવ્રતિના વિચારને જન્મ આપ્યો હશે. સારા માણસોને સેવા માટે તૈયાર કરી વંચિત સમાજના ઉત્કર્ષમાં જોડવા. તાલીમ લઈ રહેલા સેવાવ્રતિઓને આ પ્રતિષ્ઠાન ભારતની ગૌરવશાળી પરંપરા, મહાપુરુષોના જીવન ચરિત્ર, સેવાની જરૂરિયાત, યોગ અને શિસ્તનું મહત્વ વગેરે જેવા વિવિધ વિષયો પર 40 દિવસની તાલીમ આપે છે. આ પછી, સેવાવ્રતિ ઓ તેમની રુચિ અનુસાર સેવાકાર્યો માટે ક્ષેત્રમાં 3 વર્ષનો સમય આપે છે. આ દરમિયાન, સંસ્થા તેમના રહેવા અને ભોજન સાથે માનદ વેતન તરીકે થોડી રકમ આપે છે. યુવાવસ્થામાં તેમના જીવનના ત્રણ વર્ષ સેવા કાર્યોમાં આપ્યા પછી, મોટાભાગના સેવાવ્રતિઓ તેમનું આખું જીવન સેવાને જ સમર્પિત કરે છે.  1989 માં અહીંથી તાલીમ લીધેલા ઘણા વર્ષો સુધીઆ પ્રતિષ્ઠાનનાં મહિલા વિભાગના નિદેશક રહેલા અને ત્યાર બાદ પોતાનું શેષ જીવન સેવામાં સમર્પિત કરનાર વનીતા હેગડેજી કહે છે કે અજીતજી સ્થાપના પછી માત્ર નવ વર્ષ જીવ્યા, પરંતુ આ નવ વર્ષો માં તેમણે પોતાની તમામ શક્તિ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સમર્પિત કરી. તાલીમ દરમિયાન અજીતજી પૂર્ણ સમય ત્યાં જ રહેતા હતા તેઓનો તમામ સહભાગીઓ સાથે ગાઢ સંબંધ થઇ જતો. સેવાબસ્તીમાં કોણ કામ કરી શકશેયોગ કેન્દ્રમાં કોની ક્ષમતાનો ઉપયોગ કરી શકાય તેમ છે આ બધું તેઓ સારી રીતે પામી જતા. તેઓ માત્ર સેવાવ્રતિઓના યોગ્ય આયોજનમાં જ નહીં, પરંતુ સેવાવ્રતિઓ ત્યાં યોગ્ય રીતે કામ કરી શકે તે બાબતમાં પણ  મહત્વની ભૂમિકા ભજવતા હતા.  તેઓ ફિલ્ડમાં જઈને દરેક સેવાવ્રતિઓ સાથે એક દિવસ વીતાવવાનો પ્રયત્ન કરતા. તેઓના સ્વયંભૂ સ્નેહ અને ઊર્જાભર્યા વિચારોથી પ્રભાવિત થઈને અનેક યુવક-યુવતીઓ જીવનભર સેવાનો સંકલ્પ લેવા પ્રેરાયા. હિંદુ સેવા પ્રતિષ્ઠાનના પ્રથમ ડિરેક્ટર એવા શ્રી અજિતજીએ સેવા માટે ઉત્તમ વ્યક્તિઓનું ઘડતર થવું જોઈએ એવી લાગણી તેમના સાથીદારોમા પણ પ્રસારિત કરી.


પરંતુ કાળનાં ક્રૂર પંજાએ અકાળે આપણી પાસે થી તેમને  છીનવી લીધા. માત્ર 56 વર્ષની વયે,  3 ડિસેમ્બર 1990ના રોજ સવારે 4 વાગે બેંગ્લોર સંઘ કાર્યાલય કેશવ કૃપાથી તુમકુર જતી વખતે કાર અકસ્માતમાં તેમનું અવસાન થયું.

 તેમને શ્રદ્ધાંજલિ આપતા નાનાજી દેશમુખે કહ્યું હતું કે સમગ્ર ઉત્તર ભારત માટે એ માનવું મુશ્કેલ છે કે કોઇ યુવતી 16  વર્ષની ઉંમરે પોતે સેવામાં જોડાવા માટે ફોર્મ ભરશે આને તાલીમ લેશે.  પરંતુ અજિતજીએ એક અસંભવ જણાતા વિચારને સફળ પ્રોજેક્ટ તરીકે સાકાર કર્યો.

599 Views
अगली कहानी