सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

જે બીજાને જીવન આપે છે તેનું જીવન જ સાચું

ડૉ. પારુલ ભટ્ટ મહેતા | ઈન્દોર | મધ્યપ્રદેશ

parivartan-img

17 વર્ષની ઉંમર એ કાંઇ દુનિયા છોડવાની ઉંમર નથી, જો કે એ તો મૃત્યુ સામે પડકાર બનીને ઉભો હતો. જે લોકોના બાળકોને મોતના મોંઢામાંથી ખાલી ડબ્બા અને લાકડીની મદદથી બહાર કાઢ્યા હતા તે બધા રડી રડીને બે હાલ થઇ ગયેલા.

7મી ઓગષ્ટના દિવસે જ્યારે ઇન્દોરના મારુતિનગરમાંથી 17 વર્ષના કિશોર સ્વયંસેવક મનોજ ચૌહાણની અર્થી ઉપડી ત્યારે આખા ઇન્દોરની આંખો આંસુઓથી છલકાઇ ગઇ હતી. બે દિવસ સુધી આ વિસ્તારના એક પણ ઘરે ચૂલો સળગ્યો ન હતો. ગણતંત્રના દિવસે અદ્વિતીય વીરતા પુરસ્કારથી સન્માનિત થયેલ શહિદ મનોજ ચૌહાણની કથા યુવાનોને દેશ માટે જીવતા શીખવે છે.  મનોજે યુવાનીના ઉંબરે હજી તો પગ મૂક્યો હતો. જે ઉંમરે યુવાનો ઈન્દ્રધનુષી સપનાઓથી સંસારને શણગારતા હોય, તે ઉંમરે મનોજ 18 વ્યક્તિઓના જીવન બચાવતા પોતે જ મૃત્યુની ચિરનિદ્રામાં પોઢી ગયો.


17 વર્ષ પહેલાની વાત છે. 1લી ઓગષ્ટ 2005ના દિવસે વરસાદનું પાણી પ્રલય બની ઈન્દોરના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી ગયું.

બાણગંગાના સાવેર રોડ  પર આવેલા નીચાણવાળા વિસ્તારમાંના એક મારુતિનગર વિસ્તારના ઘરોમાં પાણી એવા તો ધસી આવ્યાં કે વાસણ, ગાદલાં,ગોદડાં, મચ્છરદાનીની સાથે સાથે નાના બાળકો પણ તણાવા લાગ્યાં. પ્રશાસન આ વિસ્તારમાં મદદ માટે પહોંચે તે પહેલાં જ આ વિસ્તારમાં સંઘની નિયમિત શાખા શરુ ચલાવનાર મનોજ ચૌહાણ પોતાનાં કેટલાંક સાથીઓ બબન પાંડે અને સુરેશ બાથાની સાથે બચાવ કાર્ય શરુ કરી દીધું. આ લોકોએ ટીનના ડબ્બા, ટ્યૂબ વગેરે એકઠાં કર્યાં અને તેની મદદથી લોકોના જીવ બચાવવા નીકળી પડ્યાં.

મનોજ જ્યારે નાના બાળકોને તેમના ઘરમાંથી બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ લઇ જઇ રહ્યો હતો, ત્યારે તેના કાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર સંપર્ક પ્રમુખ ડૉ આનંદપ્રકાશ મિશ્રાની ચેતવણી પડઘાતી હતી મનોજ, તારા હૃદયનો વાલ્વ ખરાબ થઇ ગયો છે, પાણીથી દૂર રહેજે અને વધારે પડતો શ્રમ ન કરતો. નહીંતર તે તારા માટે ઘાતક સાબિત થશે.”  પરંતુ ધીરે ધીરે તે અવાજ લુપ્ત થવા માંડ્યો અને શાખામાં રોજ ગવાતા ગીતની પંક્તિઓ ગુંજવા લાગી સેવા હૈ યજ્ઞકુંડ, સમિધા સમ હમ જલેં”. મનોજ વહેલી સવારના ૪ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી અસરગ્રસ્તોની મદદ કરતો રહ્યો. રાષ્ટ્રભક્ત આ યુવાને 18 લોકોને ભયાવહ પાણીમાંથી હેમખેમ બહાર તો કાઢ્યાં પણ ત્યારે તેના ફેફસામાં પાણી ભરાવું શરુ થઇ ગયું હતું. આમ છતાં બીજા દિવસે અસરગ્રસ્તોના પરિવારો માટે જરૂરિયાતોની યાદી બનાવી કરિયાણું અને અન્ય વસ્તુઓ પહોંચાડવામાં લાગી ગયો.


કેશવનગરના તત્કાલીન નગર કાર્યવાહ અનિલ પંચવાલજી ગોયલ જણાવે છે કે, “અત્યંત શ્રમના કારણે મનોજના અશક્ત શરીરે જવાબ દઇ દીધો. શરીરમાં ન્યુમોનિયા એ રીતે ફેલાયો કે અંતે હોસ્પીટલમાં દાખલ કરવો પડ્યો અને મનોજ આ બીમારી સામે માત્ર બે દિવસમાં જીંદગીની લડાઇ હારી ગયો.

પોતાની પાછળ અપંગ પિતા ઉમરાવ સિંહ ચૌહાણ, માનસિક વિકલાંગ ભાઇ સોનુ અને રોતી કકળતી માતાને છોડીને મનોજે પોતાની આંખો કાયમ માટે મીંચી દીધી. મારુતિનગરમાં ત્યારે બે દિવસ માટે એકપણ ઘરે ચૂલો સળગ્યો નહીં. એ વિસ્તારમાં રહેનાર લક્ષ્મીદેવી મનોજને યાદ કરતા કહે છે કે, "આ બાળક તો ભગવાને મોકલેલ દૂત હતો, જેણે પોતાની જાતને ખતરામાં મૂકી મારાં સાત વર્ષના પૌત્રને પાણીની બહાર કાઢ્યો.અસરગ્રસ્ત પરિવારોના સભ્યોના નામ અને તેમની જરૂરિયાતોની એક યાદી મૃત્યુ સમયે તેના ખિસ્સામાંથી મળી આવી.!!


2007ના વર્ષમાં જ્યારે ભારતીય બાળ કલ્યાણ પરિષદે મનોજ ચૌહાણને તેની અદ્વિતીય વીરતા માટે ગણતંત્ર દિવસે સન્માનિત કરવાનો નિર્ણય લીધો, ત્યારે મનોજને આ દુનિયામાંથી વિદાય થયાં બે વર્ષ વીતી ગયેલાં. આ પુરસ્કાર માટે રાષ્ટ્રપતિને પત્ર લખનાર અને તે સંબંધી પ્રક્રિયા કરનાર શહેરના પ્રસિદ્ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાધેશ્યામ સોમાણી અને શૈલેન્દ્ર જૈન મનોજને યાદ કરી ભાવુક થઇ ગયા હતા. તેઓ કહે છે કે "મનોજ ગણતંત્ર દિવસે હાથી પર તો ન બેસી શક્યો પરંતુ ઈન્દોરવાસીઓના હૃદયમાં હંમેશને માટે સન્માનનું પ્રતિક બની ગયો છે."

સંપર્ક : અશોક અધિકારી

મો. નં  91 9300898166 

732 Views
अगली कहानी